લોકોના નસીબે તો ચાલવાનું ફૂટપાથની આસપાસ જ

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સપ્તાહે ફૂટપાથોને દબાણમુક્ત રાખવા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશના અનુસંધાને કચ્છના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વર્ષોથી ફૂટપાથો પર શાકભાજી, નાસ્તા અને અન્ય લારીઓના દબાણ યથાવત જોવા મળ્યા છે. રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલા ફૂટપાથો અનેક સ્થળોએ દબાણના કારણે ઉપયોગમાં રહી શકતા નથી. પરિણામે લોકોને મુખ્ય માર્ગ પરથી પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. વરસાદી મોસમમાં રસ્તાઓ પર પાણી ભરાવા અને ફૂટપાથો પરના દબાણને કારણે રાહદારીઓ માટે સ્થિતિ વધુ વિકટ બની જાય છે. આ ઉપરાંત શહેરોની મુખ્ય બજારોમાં પણ રેકડીઓ અને લારીઓના જમાવડાને કારણે રાહદારીઓ માટે ચાલવાની પૂરતી જગ્યા બચતી નથી. સાંજના સમયે ભીડ અને ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તંત્ર વર્ષોથી ચાલતા આ દબાણ સામે કાયમી કાર્યવાહી કરે છે કે પછી સ્થિતિ યથાવત રહેશે.