સામખિયાળી રેલવે જંકશનનું એન.આઈ. કાર્ય સંપન્ન

રેલવે તંત્રના અમદાવાદ મંડળે કચ્છના સામખિયાળી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સામાખ્યાલી–ભચાઉ રેલખંડના ડબલિંગ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય તેમ છે. 167 રુટો સાથે સંકળાયેલું 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય રવિવારે સવારે નવ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હોવાની રેલવે વિભાગે સતાવાર રીતે જાહેરાત કરી છે. બ્લોક દરમિયાન 162 ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે. બ્લોક પહેલાં એક જ દિવસમાં રેકોર્ડ 30 લોંગ-હોલ ટ્રેનોનું પણ સંચાલન કરીને અવિરત માલવહન સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે રેલવે અવસંરચના વિકાસની દિશામાં આ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં સામાખ્યાલી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ (કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે.
મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ વેદ પ્રકાશે જણાવ્યું કે આ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સામાખ્યાલી–વોંધ–ભચાઉ સ્ટેશનો વચ્ચેના બે બ્લોક સેક્શનમાં ચૌહરીકરણ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટના કમિશનિંગ માટે કરવામાં આવ્યું છે. આ પડકારજનક અને અત્યંત મહત્વપૂર્ણ કાર્ય અમદાવાદ મંડળ તથા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની ટીમો દ્વારા સંકલન, સચોટ આયોજન અને અથાગ પ્રયાસોથી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું. દરમ્યાન નોન-ઇન્ટરલોકિંગ બ્લોકની અસરને ન્યૂનતમ કરવા અને નેટવર્કની ગતિશીલતા જાળવી રાખવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી: અવરોધ દરમિયાન સંચાલિત 46 કલાકના કાર્ય દરમિયાન અવિરત માલવહન સુનિશ્ચિત કરતાં કુલ 162 ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તો કાર્ય શરૂ થવાના તુરંત પહેલાંના ચાર દિવસમાં અમદાવાદ મંડળ દ્વારા કુલ 103 લોંગ-હોલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં એક જ દિવસમાં 30 લોંગ-હોલ ટ્રેનોના સંચાલનનો નવો રેકોર્ડ પણ સામેલ છે. નવી લાઇનનું સંચાલન રેલવે સંરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ જ શરૂ કરવામાં આવશે.
વોંધ અને સામાખ્યાલી સ્ટેશનો વચ્ચેની ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ વોંધ સ્ટેશનનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ થયા બાદ કાર્યરત કરવામાં આવશે.
એન.આઈ. કાર્યની શરૂઆત: 31 જુલાઈ 2026, સવારે 11:00 વાગ્યે થઈ હતી. રી-કનેક્શન પ્રાપ્ત 02 ઓગસ્ટ 2026, સવારે 09:15 વાગ્યે થયું હતું. કુલ કાર્ય અવધિ 45 કલાક 15 મિનિટ રહી હતી. સામાખ્યાલી–ભચાઉ રેલખંડના ચૌહરીકરણ તથા આધુનિક સિગ્નલિંગ સિસ્ટમના અમલીકરણથી આ મહત્વપૂર્ણ માલવહન કોરિડોરની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. તેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ બનશે તેમજ ભવિષ્યમાં વધતા ટ્રાફિકને સુચારુ રીતે સંચાલિત કરવામાં મદદ મળશે. તેવી વિગતો જાહેર કરાઇ છે.