ભુજના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૧૮ પેઢીઓ પર તપાસ
ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઑફિસર એસ બી.પટેલ, એમ.એમ.પટેલ, વી.એમ. બરંડા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી ૧૮ જેટલી પેઢીઓ ઉપર દરોડા પાડી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓએ સંબંધિત વેપારીઓ, ઉત્પાદકો અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને સરકારના નવા હુકમનામાથી માહિતગાર કર્યા હતા. આ સાથે જ પ્રતિબંધિત એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા અને નવા નિયમોનું પાલન કરવા અંગે કડક સૂચના આપી અને આખરી ચેતવણી આપવામાં આવી હતી. વેપારીઓને જણાવવામાં આવ્યું કે, જાહેર આરોગ્યના ઉલ્લંઘન કે કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં નહીં આવે.
આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ વેપારીઓને સમજાવ્યું હતું કે, ડેરી ફેટના બદલે વેજિટેબલ ઓઇલ કે કેમિકલયુક્ત પદાર્થોમાંથી બનતા એનાલોગ પનીર અને ચીઝના સેવનથી માનવ શરીરને લાંબા ગાળે ગંભીર નુકસાન થાય છે. આ પ્રકારના ભેળસેળયુક્ત અને ભળતા નામવાળા ખાદ્યપદાર્થો આરોગ્ય માટે જોખમી હોઈ, તેનો પબ્લિક ડોમેનમાં વપરાશ તાત્કાલિક બંધ કરવો અનિવાર્ય છે.
આ તપાસ ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા પનીર અને અન્ય ખાદ્યપદાર્થોના ૭ શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. આ .નમૂનાને વધુ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી લેબ રિપોર્ટ આવ્યા બાદ જો નમૂના સબ-સ્ટાન્ડર્ડ, ભેળસેળયુક્ત કે નિયમ વિરૂદ્ધ જણાશે તો સંબંધિત પેઢી કે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

