શાકાહારી વન્યજીવોને પુન:સ્થાપિત કરી બન્નીના ઘાસિયા
મેદાનમાં જૈવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા પ્રયાસ
બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ૨૦ કાળિયાર બન્નીના ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા હતા.
ગુજરાતના વનવિભાગ દ્વારા બન્નીના ઘાસિયા મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે મેદાનમાં ૨૦ કાળિયારને મુકત કરવામાં આવ્યા હતા. આ અંગે બન્ની ગ્રાસ લેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત અહીંની ઇકોસિસ્ટમને મજબૂત કરવા તૃણાહારી પ્રાણીઓનો વસવાટ કરાવવામાં આવી રહ્યો છે. જે હેઠળ વનતારાથી વિશેષ એમ્બ્યુલન્સ વાન મારફતે ૨૦ કાળિયારને લાવી તેમને બન્નીના ઘાસિયા મેદાનમાં કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા.
જામનગરથી કચ્છ સુધી લાવવા અને નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા બોમા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાળિયારને બોમા એન્કલોઝરમાં રખાયા બાદ સ્થાનિક વાતાવરણ-ખોરાકથી પરિચિત કરાવવા સોફ્ટ રિલીઝ પદ્ધતિ અપનાવાઇ છે.
તેમણે ઉમેર્યું હતું કે, પૂરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કરી સુરક્ષિત રીતે બન્નીમાં લવાયા છે. બન્નીમાં ચિત્તા સંરક્ષણ – સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત કાળિયારની બન્નીના ઘાસિયાં મેદાનમાં પુન:સ્થાપના, સ્થાનિક શાકાહારી વન્યજીવોને પુન:સ્થાપિત કરવામાં, જૈવ વિવિધતા જાળવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા આ કામગીરી કરવામાં આવી રહી છે.
ચિત્તા માટે ઇકોસિસ્ટમ ઉભી કરવાના ભાગરૂપે બગડીયા વિસ્તારમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે હેઠળ ૬૬૦ એકરમાં વિવિધ દેશી ઘાસના વાવેતર-ઉછેર સાથે હેલ્થ મોનીટરીંગ માટે પશુ હોસ્પિટલ, દવા-સાધનો, ડોક્ટરની ટીમ તૈનાત કરાઇ છે. અગાઉ અને તાજેતરમાં મળીને લવાયેલા ૨૦૦થી વધુ કાળિયાર ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે વિચરી રહ્યા છે. કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓની હાજરીથી ઘાસના મેદાનોનું કુદરતી પુન:જીવન વધુ ઝડપી બનશે અને ટુંક સમયમાં ચિત્તાનું બન્નીમાં આગમન થશે. તેવી વિગતો અપાઈ હતી.

